મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કાંસા ગામના વણકરવાસમાં આવેલું પૂજનીય શ્રી બાવાજીનું મંદિર દલિત સમાજ માટે મહત્વનું મંદિર છે. ઝાંઝરકામાં આવેલ સંતશ્રી સવૈયાનાથનું મંદિર પણ ગુજરાતના દલિતો માટે મહત્વનું મંદિર છે. કાંસા ગામે આવેલ આ બાવાજીના મંદિરની વિશેષતા આગવી છે. કોઈપણ મંદિરમાં મુર્તિ લાવી પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં આવે છે અથવા તો કોઈ સંત પુરુષના સ્વર્ગવાસ બાદ તેમની અંતિમક્રિયા થયેલ હોય તે જગ્યાએ મંદિર કે દેવસ્થાન બનાવવામાં આવે છે પરંતુ કાંસા ગામના વણકરવાસમાં આવેલ શ્રી બાવાજીના મંદિરનો ઇતિહાસ જુદા જ પ્રકારનો છે. આ મંદિરનો ઇતિહાસ કોઈ દંતકથાને આધારે લખવામાં આવેલ નથી પરંતુ એક સત્ય હકીકત છે જે આ પ્રમાણે છે.
ઈ.સ.ર000 પૂર્વે બસો પચાસથી ત્રણસો વર્ષ વચ્ચેની એક સત્ય ઘટના છે. દલિત સમાજની પરંપરા મુજબ એ જમાનમાં વાહન વ્યવહાર ઓછો હોવાનો કારણે કોઈ સાધુ, સંતપુરુષ કે અતિથિને દલિત મહોલ્લામાં રોકાઈ જવું પડતું ત્યારે મહોલ્લાના નિયમ મુજબ આવા વ્યક્તિ કે વ્યક્તિઓનું રહેવાનું અને જમવાનું મહોલ્લાના ખર્ચે થતું. આવા સાધુ, સંતપુરુષ કે અતિથિને તેમની માંગણી મુજબ સમગ્ર મહોલ્લાના ભંડોળમાથી દક્ષિણા આપવામાં આવતી હતી.